9 - તડકાને તો હોય / મનોહર ત્રિવેદી


તડકાને તો હોય કહે, શું લેવાદેવા ?
પંખી કે માણસ હો અથવા હોય સરગના દેવા ?

મણ સૂરજ ચૈતરમાં વરસે, પોષ મહીં પાશેર
ગામેગામ એ કરે આવ-જા, પડે કશો ના ફેર

નહિ ગરમી – ઉકળાટ – તપારો : નહિ નળિયાં, નહિ નેવા

અકળામણથી લોથપોથ સૌ રસ્તા – ચોક – મકાન
સૂનકારની પીંછીથી વસતીમાં સર્જ્યું રાન

હૈયા-સરખું હોય તો પથ્થર પણ લાગે છે વ્હેવા

ત્રસ્ત ટહુકા હાંફે નીડે : નથી ઝૂલતી ડાળ
સાંજ લગી ના બ્હાર નીકળશે ઘરની આ પરસાળ

તને ઓરડો સાચવશે : તું સાચવજે પારેવાં
તડકાને હોય કહે, શું લેવાદેવા ?
*

૧૨-૦૫-૧૯૯૯ / ગુરુ


0 comments


Leave comment