24 - પૃથ્વીને* / મનોહર ત્રિવેદી


પૂછું તને સવાલ ?
ખોળાના ખુંદનાર ઉપરથી કેમ ઉતાર્યું વ્હાલ ?

પુષ્પો-ઝરતા હોઠ હતા ત્યાં પ્રગટ્યું ક્યાંથી ઝેર ?
એક જ ફૂંકે નગર-ગામને સાવ કર્યા ખંડેર ?

પ્રથમ પંખીને ધરી છાંયડો અન્તે કાપી ડાળ ?

તેં જ છાતીએ વળગાડ્યાં ને તું જ ઉખેડે ક્ષણમાં ?
રૂડાં વનરાવનને શાથી તેં જ ફેરવ્યું રણમાં ?

ધબકારા આપીને પાછળ તેં જ મોકલી ફાળ ?

તને કાળથી ચડિયાતાં આંસુની નથી શું જાણ ?
અમે હીબકે તરીતરીને કરશું નવાં પ્રયાણ,

એમ અમારા અલગપણાને દેશું દેશનિકાલ,
પૂછું તને સવાલ ?
*

૦૯-૦૨-૨૦૦૧/શુક્ર
* કચ્છ – ધરતીકંપના સંદર્ભે


0 comments


Leave comment