40 - બહાર નીકળ્યા તો / મનોહર ત્રિવેદી


બહાર નીકળ્યા તો એવું સમજાય છે
આંખો ઉઘાડીને જોયું તો દ્વારા જેમ દિશાઓ ઊઘડતી જાય છે

ઝાડવાંને બે’ક ખોબા પાણી રેડ્યું તો
હજી સાચવે છે ઋણાનુબંધ
મોઢું મલકાવ્યું તો ફૂલોએ સામટી
રંગભરી વેરી સુગંધ

પંખીની ટોળી પણ આભેથી ઊડતીક ટહુકાઓ પાથરતી જાય છે

વૈશાખી તાપમાંયે પરબોએ ઢાળ્યાં છે
છાંયડાનાં આસન-બાજોઠ
એકાદું વેણ મેલ્યું છૂટ્ટું ને ઝીલવાને
પાંદડાંના ફરકે છે હોઠ

પગલાંને જોઈ અહીં રસ્તાઓ ઊલટથી ઓછા-ઓછા રે કાંઈ થાય છે
*

૦૪-૦૪-૨૦૦૫ / સોમ જન્મદિને


0 comments


Leave comment