91 - અન્તર્યામીને / મનોહર ત્રિવેદી


મેં
તને જોયો નથી
હે અન્તર્યામી.
જેનો શીતળ સ્પર્શ
ચિરકાળથી
પામતો રહું છું
એ બીજું તો કોણ હોઈ શકે
તારા સિવાય ?

સ્વયં
તડકો વેઠીને
મારે માથે
છજું થઈને છવાયેલ રહે છે
એ જો તું નથી
તો કોઈ નથી

મારી અસંખ્ય પીડાઓનો સર્જનહાર હું છું
હિસ્સેદાર છે
મારા મિત્રો

તું હજાર હાથવાળો છે :
એવી સમજ
મિત્રો વગર
મને કોની પાસેથી મળી હોત ?
*

૧૮-૧૧-૧૯૯૮ / સોમ



0 comments


Leave comment