92 - અધૂરું કશું છૂટી જતું નથી / મનોહર ત્રિવેદી


ચોમાસે
ખારાપાટમાં રેલાઈ જતી
નાવલી
સમુદ્રને મળે કે ન મળે
શો ફેર પડે છે ?
એથી નદી તરીકેની એની પાત્રતા
એ ખોઈ નથી નાખતી

સવારે
દૈયડનો કંઠ ઓરડામાં
રેલાઈ જવા ઉત્સુક હતો
ઓરડો ભરનીંદરમાં હતો
એટલે શું દૈયડનું ગીત વહ્યું જ નથી ?

અધખીલ્યું ફૂલ ખરી પડ્યું ક્યારીમાં
આ કારણે જ
ઊઘડવાની ઇચ્છા એની
તકલાદી હતી એમ ન કહેવાય
એ જ રીતે
ભાંખોણિયાભેર ચાલતા શિશુની
અણધારી વિદાય...

ગતિ કદી અટકતી નથી.

એકબીજાંને ન પામી શકેલાં પ્રેમીઓ
એમાં પણ બીજું કંઈ નથી
અધૂરું કશું છૂટી જતું નથી
*

૨૨-૦૮-૧૯૯૭



0 comments


Leave comment