100 - આપણા જ ભાઈભરું / મનોહર ત્રિવેદી


સૂરજને દીવો લઈ નીકળનાર આપણા જ
ભાઈભેરુ છે, એમના પર હસાય નહીં

બાવળ પર કલમ ચડાવે આંબાની, તેમના માટે શાના
ઠિઠિયારા ? એમની મૂર્ખાઈ પર આટલી ચર્ચા ન હોય
કેમકે તે આપણા જ ભાઈભેરુ છે

વિદ્યાર્થીની પાટીમાં બે આંકડા પણ ન પાડનાર ને
કોમળ ગાલ પર તમતમતા તમાચા ઝીંકનાર, વળી કર્તવ્ય
બજાવ્યાના ભ્રમમાં રહેનાર શિક્ષક વિશે આટલું બધું ન વિચાર
કેમકે....

બધાં બારીબારણાં બંધ કરી આકાશના વિસ્તારની કવિતા
લખનાર ને પડોશી માટે પગ મૂકવા જેટલી તસુ ભોં પણ
ન આપનાર બીજું કોણ છે ?

કરચોરી ને કામચોરી, અર્થકારણ રાજકારણ કે ધર્મકારણ....
શિખર-પ્રવચનોનો ધોધ વહાવે, સ્ત્રીઓની હત્યા – અત્યાચાર
ને ગુજારે બળાત્કાર : એ જ આ દેશના પ્રબુદ્ધજન, તેઓ પણ
આપણા જ ભાઈભાંડુ

વિચારતા નાકે દમ આવી જાય, અહીં એવાં લોક હજાર....
એ લોકો કંઈ ઈશ્વરની આંખોમાંથી ટપકેલાં પવિત્ર પાવન
આંસુ ઓછાં છે ?

તું પૂછીશ : તો પછી મારે શું કરવાનું ? એનો ઉત્તર સરળ નથી
કે હું ઇસ્ત્રીબંધ કપડાં માફક તારી સામે મૂકી દઉં. આવી વાતે
મૂંઝારો અનૂભવે મન, કશું સૂઝે નહીં ત્યારે ઉકેલ શોધવાનું હું
કાળ પર છોડી દઉં છું.

હું સમજું છું તે પછી જ કશુંક બની આવે છે.
*

૦૭-૦૪-૨૦૦૩ / સોમ


0 comments


Leave comment