16 - મુક્તકો / નયન દેસાઈ
૧.
પાંખ પર પીળું રણ લઈને પંખી ગયું,
સાંજનું લાલ આકાશ ડંખી ગયું.
આ ક્ષણે જો હું અસ્તિત્વ ભૂંસી શકું,
લોક કહેશે : કોઈ જીવનને ઝંખી ગયું.
૨.
આ સાંજ સાંજ હોય તો હું એનું દૃશ્ય છું,
ડૂબતા સૂરજના રંગનું ઝળહળ રહસ્ય છું.
રૂંવે રૂંવે ઊગી ગઈ અવકાશની ત્વચા,
આપો મને ખબર કોઈ કે હું અવશ્ય છું.
૩.
હર ક્ષણે જિંદગી હચમચી જાય છે,
ઝેર કોને સમયનું પછી જાય છે ?
હર ગલી નાગનો રાફડો છે અહીં,
કેમ કરતાં આ માણસ બચી જાય છે ?
0 comments
Leave comment