88 - પદ - ૭૯ - સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી / દયારામ
સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી, 'પ્રભુ ! એક સંશય મારે મનજી;
અનન્ય જનને હરિ એક ભજવાજી, ઊચિત કહ્યું સુર અવર ન યજવાજી.૧
પણ નહિ આશ્રય અન્ય અવતારજી, કેવલ ભજવા નંદકુમારજી; તે
કયમ કહીએ મતિઅધિપજી ? તારતમ્ય શો વહ્નિદીપજી ? ૨
ઢાળ
કહો દીપક વહ્નિ ભેદ શો? સમજાવીએ મુજ સ્વામી;
સુણી આચાર્ય એમ વદ્યા સૂક્ષ્મ સમજી અંતર્યામી. ૩
ભગવાનના કળા, અંશઆવેશ, વિભૂતિ, અને અંશથી અવતારો
સુણ થીજીથી અવતાર સહુ, પણ કારજ કારણ ભેદ;
કો કળા અંશાવેશ વિભૂતિ કૃષ્ણ અલમ્ કહે વેદ. ૪
જે પતંગ સરખા પ્રેમી અનલ ન જ્યોત વેહેરો કોય;
પણ રસિક ટેકી ચકોર વણ અંગાર તૃપ્તિ ન હોય. ૫
પૂર્ણ પુરુષોત્તમના અધિકારી પૂર્ણ પુરુષોત્તમને ભજે
વળી ન્યૂનાધિક છે યજન ફળ, ક્રમે ક્રમે શાસ્ત્ર પ્રમાણ;
તે કહું કિચિત શ્રવણ કર વિધિ હોય જો તું અજાણ. ૬
જો જન્મ પંચ લગી ભજે, અવતાર હરિના અન્ય;
તો હયગ્રીવ સ્વરૂપમાં ભક્તિ, ઉપજે તે પુણ્ય. ૭
દશ જન્મ હયશિર ઉપાસનથી પ્રીતિ નરહરિ પામે;
જે રૂપ કૌસ્તુભ દયાપ્રીતમ સ્મરતાં ભય વામે. ૮
0 comments
Leave comment