38 - પાવન કોણ કરે ? / ગની દહીંવાલા
ઝાકળની દશામાં જીવીને પુષ્પો સમ વર્તન કોણ કરે !
એક આંખને હસતી રાખીને, એક આંખથી રુદન કોણ કરે !
શું દર્દ, અને દિલથી અળગું ? એ પાપ અરે, મન ! કોણ કરે !
એક રાતને દિવસ કોણ કહે, એક મોતને જીવન કોણ કરે !
પદચિહ્ન સમું મારું જીવન, ચાહો તો બને એક પગદંડી,
આવીને પરંતુ, ક્ષણજીવી તત્વોને સનાતન કોણ કરે !
દોષિતને હવે અપરાધોની ઓથે જ લપાઈ રહેવા દો !
યાચીને ક્ષમા, એ કહેવાતાં પાપોનું સમર્થન કોણ કરે !
દાગોથી ભરેલા આ દિલને કાં ચાંદની ઉપમા આપો છો !
કહેવાઈ કલંકિત, દુનિયાના અંધારને રોશન કોણ કરે !
કંઈ વિરહની વસમી ઘડીઓમાં સહકાર છે કુદરતનો, નહિતર
રાત્રિએ સિતારા સરજીને દિવસે એ વિસર્જન કોણ કરે !
ચાહું છું ‘ગની’ સૌ દુઃખીઓને લઈ જાઉં સુરાલયના પંથે,
પણ થાય છે, પોતે પાપ કરી સંસારને પાવન કોણ કરે !
0 comments
Leave comment