4 - કોઈ કાળે... / સ્નેહી પરમાર
તો ગઝલનો ગઢ તૂટે ના કોઇ કાળે,
જો તું એમાં વજ્ર જેવો મર્મ ઢાળે.
એ ભલે આકાશમાં સિક્કા ઉછાળે,
મન હજી બેઠું નથી એનુંય માળે.
એકદા એને મળી લે, વાત પૂરી,
જ્યાં જશે ત્યાં એ પછી એને જ ભાળે.
આપ બોલાવો પીડાને તોય ના’વે,
એ લખેલી છે ફક્ત મારા કપાળે.
જે સળગતી આગને જીરવી ગયા છે,
એ જ ખુદ સળગી જશે ખુદની વરાળે.
તું કવરમાં મોકલે રેતી ભરીને,
‘સ્નેહી' તો એ રેતમાં વીરડોય ગાળે.
0 comments
Leave comment